Saturday, June 26, 2010

રથયાત્રાઃ હવે માત્ર એક યાદગાર સંભારણું


અમદાવાદ, છેલ્લાં 133 વર્ષથી ઐતિહાસિક માર્ગ પરથી નીકળતી રથયાત્રામાં દર વર્ષે ભાગ લેતા કોટ વિસ્તારના રહેવાસીઓ ભલે હવે પૂર્વમાંથી પશ્ચિમ વિસ્તારમાં સ્થાયી થયા, પરંતુ ભગવાન જગન્નાથની રથયાત્રા તેમના માટે એક યાદગાર સંભાપણું છે. રથયાત્રા સાથેની ભૂતકાળની યાદોને ફરી તાજી કરવા પશ્ચિમ વિસ્તારમાં વસેલા મોટા ભાગના પરિવારો આજે પણ જગન્નાથની રથયાત્રામાં જોડાવવા તત્પર છે. બીજી તરફ અહીં એવા પણ ઘણા પરિવારો છે કે જેઓ શહેરના કોટ વિસ્તારમાં સગાસંબંધી ન હોવાને કારણે રથયાત્રામાં ભગવાનનાં દર્શન કરવાનો લાભ ઉઠાવી શકતા નથી. કોટ વિસ્તારમાં કોમી હુલ્લડથી મોટા ભાગના લોકોએ પોતાનાં ઘર વેચીને પરિવાર સાથે પશ્ચિમ વિસ્તારોમાં સ્થળાંતર કરી લીધું છે. પશ્ચિમ વિસ્તારમાં સ્થળાંતર કરી ચૂકેલા લોકો અનેક વર્ષોની રથયાત્રા સાથેની યાદોને વીસરી શક્તા નથી. આવા પશ્ચિમમાં સ્થાયી થયેલા લોકોને મળીને મેટ્રોએ રથયાત્રા અંગેના તેમના અભિપ્રાય મેળવ્યા.
બાળપણથી રથયાત્રા જોતા આવેલા દક્ષાબહેન જોષીનાં લગ્ન મુંબઇ થઇ જતાં તેમણે જમાલપુર પગથિયા પાસે આવેલી ખાંડની શેરીના નિવાસને અલવિદા કરી દેવી પડી હતી. બાળપણના રથયાત્રા સાથેના તેમનાં સ્મરણોને તાજાં કરતાં તેઓ જણાવે છે કે, "તે દિવસોમાં રથયાત્રાના પંદર દિવસો પહેલાંથી જાણે મોટો તહેવાર ન આવવાનો હોય તેવી રોનક અમારી શેરીમાં દેખાતી. અમે નાનાં બાળકો તો રથયાત્રા જ્યારથી શરૂ થાય ત્યારથી છેક અંત સુધી રથની સાથે ફરતાં. આજે તો આ વિસ્તારોમાં રથયાત્રા જોવા જવાય તેવી પરિસ્થિતિ જ નથી. તેથી હું મારા પરિવાર સાથે રથયાત્રા જોવા જતી નથી. ટી.વી. પર ભગવાનનાં દર્શન કરી છું. "
આવો જ અભિપ્રાય છે, હાલમાં નારણપુરા વિસ્તારમાં રહેતાં મંજુબહેનનો, તેમના લગ્ન આજથી 25 વર્ષ પહેલાં શાહપુર થયાં હતાં. મંજુબહેન કહે છે કે, "છલ્લા 20 વર્ષથી રથયાત્રા જોતી આવી છું. પહેલાના વખતની રથયાત્રાની વાત જ કાંઇ ઓર હતી. રથયાત્રા એટલે શાંતિનો પર્વ, પરંતુ રથયાત્રાના તહેવારોમાં અવારનવાર છવાતી તંગદિલી અને તોફાનોથી કંટાળીને અમે શાહપુર વિસ્તાર જ છોડી દીધો. આમ છતાં પણ વર્ષમાં એક વખત નીકળતી રથયાત્રાનાં દર્શન કર્યા વગર મને ચાલતું નથી, જો શ્ક્ય હશે તો ચોક્કસ આ વર્ષે અમે રથયાત્રા જોવા જઇશું."
દરિયાપુરમાં બાળપણ વિતાવનાર અને હાલમાં સેટેલાઇટ વિસ્તારમાં રહેતાં હસુમતી કાપડિયાને પોતાનો વિસ્તાર છોડવાનું દુઃખ હાલમાં પણ છે. ગોધરા કાંડ પછીનાં તોફાનોને કારણે તેમણે છોડવા પડેલા ઘરને તેઓ આજે પણ ભૂલી શક્યાં નથી. તેઓ કહે છે કે, "અમે રથયાત્રા માટે નવાં કપડાં સિવડાવતા હતા. તેમ જ રથયાત્રા સાથે જોડાયેલી એક પણ વસ્તુ જોવાની ન ચુકાય તે માટે રથયાત્રા પૂરી થયા પછી જ અમે જમતા હતા. મારો પરિવાર રથયાત્રા જોવા આવે કે ન આવે હું તો તે જોવા જવાની જ છું."

0 comments:

Post a Comment