Wednesday, June 9, 2010


રથયાત્રા શરૂ કરાવનાર સંત નૃસિંહદાસજીની પરબ ઉકરડામાં સડે છે!


જમાલપુર દરવાજાની અને જદન્નાથજીના મંદિરની બરાબર સામે ઉકરડામાં રહેલી એક પરબની તકતી પર લખ્યુ છે, 'મહામંડળેશ્વર મહંતશ્રી નૃસિંહદાસજી બાલમુકુંદદાસજીના પુણ્ય સ્મપણર્થે મ્યુનિસિપલ ઠંડા પાણીની પરબ, ઇ.સ. 1964'. આ વાચીને એવો સવાલ થાય કે મહામંડળેશ્વર નૃસિંહદાસજી કોણ હતા કે જેમની યાદમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશને 'ઠંડા પાણીની પરબ' કરી! એક વાક્યમાં એમની ઓળખાણ આપવી હોય તો કહી શકાય કે નૃસિંહદાસજીએ અમદાવાદના મોટામાં મોટા ગણાતા ઉત્સવ રથયાત્રાની શરૂઆત કરાવી હતી. નૃસિંહદાજીને તમામ સંપ્રદાયો અને ધર્મોના લોકો સન્માનતા, પ્રેમ આંપતા અને તેમનો પડ્યો બોલ ઝીલી લેતા. તેમની માનવસેવા અને ગૌસેવા જોઇને સંતોએ તેમને 'મહામેડળેશ્વર'ની ઉપાધિ આપી હતી.
અમદાવાદમાં આજથી લગભગ 286 વર્ષ પહેલાં રામાનંદી સંત હનુમાનદાસજીએ હનુમાનજીના નાના મંદિરની રચના કરી હતી અને જે આગળ જતાં આશ્રમના રૂપમાં વિકાસ પામી. ગૌશાળાના વિકાસની સાથે સાથે શિષ્યોની સંખ્યા પણ વધવા લાગી હતી. એક દિવસે સારંગદાસજી નામના શિષ્ય ગૌશાળાની ચકાસણી કરતા હતા ત્યારે તેમણે એક બાળકને ગાયોનું છાણ ઉપાડતા અને ચારો આપતા જોયું. તેમણે એ બાળકને પૂછ્યું કે તને આ કાર્ય કરવા કોણે કહ્યું છે અને તું ક્યાંથી આવ્યો છે. ત્યારે બાળકે જવાબ આપ્યો કે હું ક્યંથી આવ્યો છું તેની મને ખબર નથી, પરંતુ અહીંયાં હું ગૌસેવા કરવાના આશયથી ખેંચાતો આવ્યો છું. સારંગદાસજી તે બાળકને પોતાના ગુરુ પાસે લઇ ગયા અને સઘળી હકીકત કહી અને ગુરુએ તે બાળકને આશ્રમમાં રહેવાની પરવાનગી આપી. નાનકડું બાળક સંમગ્ર આશ્રમનું આકર્ષણ બન્યો અને તેની વૈરાગ્ય ભાવના જોઇ સારંગદાસજીના શિષ્ય બાલમુકુંદદાસજીએ તે બાળકને દીક્ષા આપી. દીક્ષા બાદ તે બાળક નૃસિંહદાસજીના નામે જાણીતો બન્યો.
હનુમાનદાસજીના વિલય પછી સારંગદાસજી ગાદીએ આવ્યા અને તેઓ ભારત ભ્રમણ કરતાં વર્ષો સુધી જગન્નાથપુરી રહીને અમદાવાદ પરત ફર્યા. તેમણે આશ્રમમાં જગન્નાથપુરીથી ભગવાનશ્રી જગન્નાથજી, બળદેવજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓ મંગાવી પુરીના વુદ્ધાનો-પૂજારીઓની હસ્તે અષાઢ સુદ-1ના દિવસે સ્થાપના કરાવી. આમ ત્યારથી જ આ આશ્રમ 'જગન્નથજીના મંદિરના નામે જગપ્રસિદ્ધ થયો. સારંગદાસજી બાદ તેમના શિષ્ય બાલમુકુંદદાસજી ગાદીએ બેઠા. તેમની આજ્ઞા લઇ નૃસિંહદાસજી દેશાટને નીકળ્યા અને જગન્નાથપુરીમાં જગન્નાથ મંદિરની તમામ પ્રવૃતિઓ જેવી કે પૂજા, આરતી, ભોગ, શૃંગાર, જલયાત્રા અને રથયાત્રાનો અભ્યાસ કરી ભાવનગરના શિહોરમાં નિવાસ કર્યો.
ગુરુના આદેશથી નૃસિંહદાસજી અમદાવાદ પરત ફર્યા અને આશ્રમની તમામ જવાબદારીઓ સ્વીકારી લીધી. તેઓ જાતે જ પ્રત્યેક કાર્ય કરતા અને આશ્રમમાં આવતા દરેકનો આદર સત્કાર કરતા. આ જ ગાળામાં એમના ગુરુ બ્રહ્લલીન થતાં તેમણે તમામ સંપ્રદાય અને ધર્મોના લોકો માન આપતા. પોતે સાદાઇમાં માનતા હોવાથી ખભા પર રૂમાલ, કેડમાં બે હાથની ધોતી અને ચાર આંગળાની લંગોટી સિવાય કશું કદી પહેરતા નહીં તેમજ પગમાં જોડા કે ચાખડી પણ ન પહેરતા.
તેમના સમયે મંદિરમાં બે હજાર ઉપરાંત ગાયો રહેતી અને તેઓ જાતે જ માવજત પણ કરતા તથા ઘાસચારાના બગીચાનું નિરીક્ષણ પણ કરતા. કોઇ પણ જાતના નાત, જાત કે ધર્મના ભેદભાવ વિના તેઓ અન્નદાન, વસ્ત્રદાન,પવાલા, વાટકી કે ગરમ ધબળા વહેંચતા.
અમદાવાદના જગન્નાથ મંદિરમાં જગન્નાથપુરીના મંદિરની જેમ તમામ પૂજા તથા વિધિઓ થતી હતી. આ બાબતે નૃસિંહદાસજીના મનમાં એક ડંખ રહેતો અને આ વેદના તેમણે આશ્રમના સાધુ, સંતો તથા ભક્તો સમક્ષ ઇ.સ.1878માં વ્યક્ત કરી. સૌએ હર્ષ સાથે વાત સ્વીકારી લીધી અને ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભાઇઓ કે જે નૃસિંહદાસજીના ભક્તો હતા તેમણે રથયાત્રાની તૈયારીનો પ્રારંભ કરી દીધો. તેમણે તાબડતોબ નારિયેળના ઝાડના લાકડામાંથી ત્રણ રથો તૈયાર કરી અમદાવાદ પહોંચાડી દીધા. ઇ.સ..1878ના અષાઢ સુદ-2ના દિવસથી શરૂ થયેલી એ પરંપરા અત્યાર સુધી અતૂટ રહી છે. તેમાં રથ ખેંચવાનું કાર્ય ખલાસ કોમના ભાઇઓ જ કરે છે.
નૃસિંહદાસજીની સેવાથી માત્ર અમદાવાદ, ગુજરાત નહીં, પણ સમગ્ર ભારત વાકેફ હતું. તેઓ કુંભમેળામાં સેવા કાર્ય કરતા અને ત્યાંથી 1950માં પરત ફરતાં દિલ્હી ખાતે રોકાઇ સીધા જ મહાત્મા ગાંધીની સમાધિએ પહોંચ્યા. ગાંધીજી પ્રત્યેની તેમની શ્રદ્ધા અને પ્રેમથી તેઓ પ્રવેશદ્વાપથી જ ગદ્ગદિત થઇ ગયા અને માંડ માંડ સમાધિ પાસે પહોંચી પોતાની પુષ્પાંજલિ આપતાં કહ્યુઃ "ઓ સંતોના સંત, તમને મળવું હતું, પણ મળ્યા નહીં, પોતાનું કામ કરી, ચાલ્યા ગયા." 70 વર્ષ સુધી જગન્નાથજીના મંદિરના ગાદીપતિ તરીકે સેવા કરી લગભગ 108 વર્ષની ઉંમરે સં.2016ના કારતક વદી-10ને બુધવારે તા.25 નવેમ્બર 1959ના રોજ નૃસિંહદાસજી બ્રહ્લલીન થયા.
આ મહાન વિભૂતિની યાદમાં અમદાવાદ મ્યુ. કોર્પો. "ઠંડા પાણીની" પરબ બનાવે તે સ્વાભાવિક જ છે. માત્ર પરબ બનાવીને ચાલુ કરી દીધી તે તેમના પ્રત્યેની અંજલિ નથી. આ પરબ હંમેશાં ચાલુ રહે અને તરસ્યાની તરસ છિપાય તો જ અંજલિ સાર્થક ગણાય. આ જવાબદારી મ્યુ. કોર્પો. ઉપરાંત નાગરિકોની પણ છે. આશા છે કે નૃસિંહદાસજીએ શરૂ કરેલ રથયાત્રા થોડાક જ દિવસોમાં એ માર્ગેથી પસાર થશે ત્યારે ફરીથી ચાલુ થયેલી એ જ પરબમાંથી પીને રથયાત્રા શરૂ કરાવનાર સંત નૃસિંહદાસજીને યાદ કરશે. એમને અંજલિ આપશે.

No comments:

Post a Comment