અંતરાયો ને પ્રતિકૂળતાની વચ્ચે રથયાત્રામાં
ત્રણ દાયકાથી અતૂટ શ્રદ્ધા
અમદાવાદ, એકવીસમી સદીના હાઇટેક યુગમાં પણ માનવીની ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા જળવાઇ રહી છે. આજની ફાસ્ટ લાઇફ સ્ટાઇલમાં પણ દરેક વ્યક્તિમાં ભક્તિભાવ જોવા મળે છે. જોકે પ્રતિકૂળતા અને અંતરાયોની વચ્ચે અવિરતપણે ભક્તિ સાધના કરતાં લોકોની સંખ્યા ઓછી છે. ભગવાન જગન્નાથની રથયાત્રામાં આવા જ પ્રકારના વૃદ્ધ ભક્તો છેલ્લા દાયકાથી ઉલ્લાસભેર ભાગ લઇ રહ્યાં છે. આવા વૃદ્ધ ભક્તો તેમની વધતી વય અને પ્રતિકૂળતાની પરવા કર્યા વિના વર્ષોથી રથયાત્રામાં સવારથી સાંજ સુધી જોડાયેલા રહી ઉત્સવનો આનંદ માણે છે.
સાબરમતીમાં રહેતાં સુશીલાબહેન મકવાણા કૃષ્ણની ભક્તિમાં નાનપણથી જ ગળાડૂબ છે. અપરિણીત સુશીલાબહેન ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ એક પણ વાર રથયાત્રામાં જવાનું ચૂક્યાં નથી. તે કહે છે કે, "હું છેલ્લાં ત્રીસેક વર્ષથી રથયાત્રામાં જોડાઉં છું. જોકે પહેલાં જેવો લોકોનો હર્ષોલ્લાસ હવે આ ઉત્સવમાં દેખાતો નથી."
બીજી તરફ, પ્રકાશભાઇ દવે આ સર્વાજનિક ધાર્મિક ઉત્સવ વિશે કહે છે કે, "વરસાદમાં ભીડની વચ્ચેથી ધૂન કરતાં કરતાં જગન્નાથજીની યાત્રાના દર્શન કરવાની મજા કંઇક ઓર છે. આજે પણ હું આ ઉત્સવની મજા જ માણું છું. મને રથયાત્રામાં અતૂટ શ્રદ્ધા છે અને જે હંમેશાં અકબંધ રહેશે. આ દિવસે શરીર સહિત પૂરો આત્મા આધ્યાત્મિક બની જાય છે."
પાંસઠ વર્ષના વયોવૃદ્ધ મણિબહેન શ્રીમાળી તો રથયાત્રાને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. તેઓ રથયાત્રાના અઠવાડિયા પહેલાં તેમનું ગ્રૂપ તૈયાર કરે છે. આ ગ્રૂપ છેલ્લાં પચ્ચીસ વર્ષથી રથયાત્રામાં જોડાઇને આ તહેવારનો આનંદ માણે છે. મણિબહેન કહે છે, "સરસપુર જઇને બધા ભક્તો સાથે જમણવાર કરું છું. આ પ્રસાદ લેવાનો આનંદ અવર્ણનીય છે."
0 comments:
Post a Comment