Thursday, July 16, 2020

માછલીઘર એ ઘર નથી પરંતુ કાચનું પાંજરૂ છે

15:36 16/07/2020
નાનકડી ઓરડીઓમાં જીવન ગુજારતા લોકોના દુઃખ દર્દોને તમે સાંભળ્‍યા છે? આ લોકોને એક નાના ઘરમાં કેટકેટલી મુશ્‍કેલીઓ પડે છે તેની તો માત્ર કલ્‍પના જ કરવાની રહેશે. જો એક વ્‍યક્‍તિને નાના રૂમમાં મુશ્‍કેલીઓનો સામનો કરવો પડતો હોય તો પછી એક નાના માછલીઘરમાં રહેતી માછલીઓની હાલત શું થતી હતી. માછલીઘરમાં માછલીઓ આરામથી રહી શકે છે તેમ માનવું ભૂલભરેલું છે. માછલી એક નાજૂક દરિયાઈ પ્રાણી છે. માછલીઓને તેમના દરિયાના કે તળાવના કુદરતી વાતાવરણમાંથી પકડીને તેમને માછલીઘરમાં રાખવાનો શોખ માત્ર ઘાતકી નથી પરંતુ તેનાથી દરિયાઈ પર્યાવરણને પણ નુકશાન થાય છે. આવો શોખ રાખનાર વ્‍યક્‍તિઓ બીજાના દુઃખના ભોગે તેમનો શોખ સંતોષે છે. દરિયામાંથી બહાર લાવીને તમારા માછલીઘરમાં માછલી પહોંચાડવામાં આવે તે સમગ્ર પ્રક્રિયામાં લાખ્‍ખો માછલીઓના જીવ જાય છે. માછલી એક દરિયાઈ જીવ છે. પાણી વગર તે જીવી શકે નહિ. માછલીઓને દૂરના દરિયામાંથી લઈ આવવામાં આવે છે. આ પ્રક્રિયામાંથી જીવી ગયેલ માછલીઓએ કાચના પાંજરામાં પુરાવું પડે છે. માછલીઘરમાં તેમને કુદરતી વાતાવણ મળતું નથી. તેમને સ્‍ટ્રેસનો સામનો કરવો પડશે. અકુદરતી વાતાવરણને કારણે તેમનું જીવન ટૂંકું થઈ જાય છે. માછલીઘરમાં માછલીઓ એક કાચના નાના પાંજરામાંથી ઉપરથી નીચે સુધીની મર્યાદિત જગ્‍યામાં રહે છે અને કેટલાંક સપ્‍તાહમાં મૃત્‍યુ પામે છે. બીજા કોઈને પ્રભાવિત કરવામાં માટે કેટલાંક લોકો આ શોખ કેળવતા હોય છે. આના માટે પૈસા ખર્ચે છે અને નિર્દોષ જળચર પ્રાણીને યાતના આપે છે. માછલીઘરમાં માછલીઓ સલામત રહે છે તેવી પણ કેટલાંક લોકો માન્‍યતા ધરાવતા હોય છે. આવા લોકો બીજી પણ ખોટી માન્‍યતા ધરાવતા હોય છે. જે વિશે અહી વિગતવાર માહિતી આપવામાં આવી છે.

એક ખોટી માન્‍યતા એવી છે કે માછલીઘરમાં કુદરતી વાતાવરણનું સફળ અનુકરણ કરવામાં આવે છે. આ માન્‍યતા ભૂલભરેલી છે. માત્ર પાણી, દરિયાઈ વનસ્‍પતિ, ફુલો અને મોઢૂં ખોલતા અને બંધ કરતા દેડકા જેવા કેટલાંક પ્રાણીઓને માછલીઘરમાં મુકવાથી કુદરતી વાતાવરણનું નિર્માણ કરી શકાતું નથી. માછલીઘર કોઈ દિવસ દરિયાઈ વાતાવરણનું પર્યાઈ બની શકે નહિ. કુદરતી રીતે જોવા જઈએ તો દરિયામાં કે તળાવમાં પાણીની સ્‍થિતિમાં કેટલાંક ફેરફાર આવતો હોય છે. આ ફેરફાર લાવનાર પરિબળોમાં વરસાદ, સૂર્ય, પવન અને પાણીના પ્રવાહનો સમાવેશ થાય છે. માછલીઘરમાં આવું કંઈ જોવા મળતું નથી. માછલીઘરમાં પાણી હંમેશ સ્‍થિર રહે છે. માછલીઘરમાં પીવાના નળમાંથી આવતું પાણી ભરવામાં આવે છે. પીવાના પાણીમાં ક્‍લોરીન નાંખવામાં આવે છે. આ ક્‍લોરીન માછલીઓ માટે ખૂબ જ નૂકશાનકારક છે. માછલીઘરના પાણીનું પીએચ બેલેન્‍સ અને તાપમાન પણ દરિયાણ પાણીના પ્રમાણમાં સચવાતું નથી. આ સ્‍થિતિમાં માછલીઘરમાં માછલીની હાલત કફોડી બને છે. માછલીઘરમાં કૃત્રિમ લાઈટ પણ રાખવામાં આવે છે. આનાથી માછલીને આરામ કરવાની કોઈ જગ્‍યા મળતી નથી. રાત દિવસ માછલીએ આરામ વગર પસાર કરવો પડે છે. તમે વિચાર કરી શકો છે કે એક નાજૂક પ્રાણી આરામ વગર કેટલાં દિવસ જીવી શકે? આ કૃત્રિમ લાઈટ કુદરતી સૂર્યપ્રકાશની બરોબરી કરી શકે નહિ. કેટલાંક લોકો આ માટે માછલીઘરમાં કૃત્રિમ પહાડનું નિર્માણ કરે છે. શું આ કૃત્રિમ પહાડ માછલીને આરામ માટે પૂરતી ડાર્ક જગ્‍યા આપી શકે છે?

માછલીઘરમા માછલીઓને ડ્રાય પ્રોસેસ આહાર આપવામાં આવે છે. માની લઈ કે આ આહાર પોષણક્ષમ છે. પરંતુ તે દરિણાઈ આહારનો સ્‍વાદ અને વેરાયટી આપી શકે નહિ. માછલીઓ નાનપણથી દરિયામાં મળતા આહારથી ટેવાયેલી હોય છે. માછલીઓને વિકાસ માટે અને મુક્‍ત રીતે તરવા માટે વધારે જગ્‍યાની જરૂર હોય છે. દરિયામાં તે પોતાના એક સામાજિક જૂથમાં જીવન પસાર કરે છે. તેમને વિહરવા માટે મોટી જગ્‍યા મળી રહે છે. પરંતુ માછલીઘરમાં તેમનું સામાજિક જૂથ બનતું નથી. સમાજ વગર જો માણસ ન રહી શકતો હોય અને તે જંગલી બની જતો હોય તો દરિયાઈ પ્રાણીની શું હાલત થતી હશે તેની કલ્‍પના કરી જુવો. માછલીઘરમાં માછલીઓ દરરોજ એકની એક જગ્‍યાએ ફરવાનું રહે છે. તેથી માછલીઘર એક કાચનું પાંજરૂં કે જેલ છે. તેમાં કોઈ કુદરતી વાતાવરણ નથી.

બીજી એક ખોટી માન્‍યતા એ છે કે માછલીઘરમાં માછલી તંદુરસ્‍ત અને આનંદમાં રહે છે. આ માન્‍યતાને કારણે પણ કેટલાં લોકો માછલીઘર બનાવવાનો શોખ રાખે છે. જોકે વાસ્‍તવિકતા તદ્દન અલગ છે. લોકો વારંવાર ફરિયાદ કરતા હોય છે કે માછલીઘરમાં માછલીઓ ઝડપથી મૃત્‍યુ પામે છે. આવા લોકોની સંખ્‍યા ઓછી નથી. આ માટે માછલીનો કોઈ વાંક નથી. તેનો જીવ લેવા માટે તમે જવાબદાર છે. તમે એક જળચર પ્રાણીને કુદરતી વાતાવરણમાંથી લઈ આવો છે અને તેને અનુકુળ ન હોય તેવા બંધનમાં ઘકેલી દો છો. મોટાભાગના લોકો જાણતા હોતા નથી માછલીઘરની જાળવણી કઈ રીતે કરવી. દુઃખની વાત એ છે કે તમારી અજ્ઞાનતાને કારણે બીજા નિર્દોષ પ્રાણીનો જીવ જાય છે. પ્રથમ વાત એ છે કે માછલીઘર નાનું હોય છે અને તેમાં શક્‍ય હોય તેટલી વઘુ માછલીઓ ભરવામાં આવે છે. આનાથી તમામ માછલીઓના ધીમે ધીમે મોત થાય છે. ઘણીવાર માછલીઓને તેમની વિવિધ જાત મુજબ રાખવામાં આવતી નથી. અમુક જાતની માછલીઓ પોતાના ગ્રુપમાં જ જીવી શકે છે. માંસભક્ષી માછલીઓ નબળી માછલીઓનો શિકાર કરે છે. તેમના સહ અસ્‍તિત્‍વનુ પ્રમાણ જળવાતું નથી. લોકો એક માછલીઘરમાં રાખવામાં માટે સહઅસ્‍તિત્‍વના સિદ્ધાંતનું પાલન કરવાની જગ્‍યાએ રંગબેરંગી માછલીઓ રાખવાનું વધારે પસંદ કરે છે. માછલીઓનું મૃત્‍યુ થવાનું બીજી કારણ એ છે કે માછલીઘરને યોગ્‍ય રીતે અને યોગ્‍ય સમયે સાફ કરવામાં આવતું નથી. માછલીના મળમૂત્રથી એમોનિયા વાયુ ઉત્‍પન્‍ન થાય છે. આમાંથી નાઈટ્રેટ વાયુ બને છે. આ વાયુ માછલી માટે ઝેરી છે. પાણીમાં રહેલા ક્‍લોરીન, એરોસોલાના રસાયણો અને સિગારેટના ઘુમાડા માછલીઘરના પાણીને દૂષિત કરે છે. અગાઉ કહ્યું તેમ માછલીઓ ખૂબ જ નાજૂક પ્રાણી છે. એકદમ લાઈટ કરવામાં આવે કે બંધ કરવામાં આવે તો તેમને શૉક લાગે છે. જેનાથી સ્‍ટ્રેટ જન્‍મે છે. માછલી માટે સ્‍ટ્રેટ ઉભા કરવા માટે બીજા પરિબળો પણ જવાબદાર છે. મોટાભાગના કિસ્‍સાઓમાં લોકો માછલીનું ઘ્‍યાન પોતાના તરફ ખેંચવા માટે માછલીઘરના કાચને આંગળીથી ખખડાવતા હોય છે. એક્‍વેરિયમ અંગેના પુસ્‍તકોમાં જણાવવામાં આવે છે કે માછલીઓને દિવસમાં બે કે ત્રણવાર ખોરાક આપવો જોઈએ. જોકે વાસ્‍તવિકતા એ છે કે માછલીઓને કેટલી વાર ખોરાકની જરૂર પડે છે તે આપણે જાણતા નથી. ઘણીવાર લોકો તેમના ઘેર આવેલા મહેમાનોને પ્રભાવિત કરવા માટે માછલીઓને વારંવાર ખોરાક પણ આપતા હોય છે. માછલીઘરમાં માછલીઓએ બીજુ કોઈ કામ કરવાનું હોતું નથી તેથી તે સતત ખાધા કરે છે. તેનાથી તેમની તંદુરસ્‍થી પર અસર પડવાની પૂરી શક્‍યતા છે. ઘણીવાર એવું માને છે કે માછલીને ખોરાક આપવાનું ભૂલી જવામાં આવે છે. તેથી તેમને ભૂખ્‍યા પણ રહેવું પડે છે. તેથી માછલીઘરની માછલીઓને બીજા પર નિર્ભર રહીને જીવવું પડે છે. તેમને સતત ભય અને ડરના વાતાવરણમાં રહેવું પડે છે.

ત્રીજી એક ખોટી માન્‍યતા એવી છે કે માછલીઘરમાં રાખવાથી શૈક્ષણિક હેતુઓ સિદ્ધ કરી શકાય છે. આનાથી દરિયાઈ જીવ અંગે માહિતી મેળવી શકાય છે અને બીજાને શિખવાડી શકાય છે. જોકે મારો પ્રશ્ન એ છે કે તમારામાંથી કેટલા વ્‍યક્‍તિઓને માછલીઘરમાંથી દરિયાઈ જીવ વિશે કંઈક જાણવું મળ્‍યું ? તેમને પ્રાણી સંગ્રહાલયમાંથી શું શું શીખવા મળ્‍યું છે ? આ માટે પુસ્‍કતનું જ્ઞાન પૂરતું છે. કેટલાંક લોકો આનાથી સ્‍વોર્ડટેઈલ, એન્‍જલફીશ, ગુપ્‍પી, મોલી જેવા નામો જાણી શકે છે. આનાથી વિશેષ નહિ. માછલી કઈ રીતે સાથે મળીને જીવે છે, તેમનો ઉછેર કેવી રીતે થાય છે, તેમની પસંદગી - નાપસંદગી શું છે તેમની નબળાઈ શું છે, તેમની મજબૂતાઈ શું છે, તે તમારા જીવન પર શું અસર કરે છે, તે પાણીને કેવી રીતે સ્‍વચ્‍છ રાખે છે, તે તેમના બચ્‍ચાઓને કઈ રીતે ઉછેરે છે. આ બઘુ કેટલા લોકોએ જાણ્યું અથવા જણવાનો પ્રયાસ કર્યો. આમ માછલીઘરથી કંઇ શીખવા મળતું નથી ઉપરથી તમે અસંવેદનશીલ બની જાય છે. માછલી એક શૈક્ષણિક સાધન નથી. માછલી કઈ રીતે જીવે છે તેની સાચી માહિતી માછલીઘરથી મેળવી શકાય નહિ.
સૌથી ખોટી માન્‍યતા એ છે કે માછલીઘર આનંદ અને મનોરંજન પૂરૂં પાડે છે. જોકે આ માન્‍યતા પણ સાચી નથી. તમે માછલી સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરી શકતા નથી. તે તમને ઓળખી શકતી નથી. તેને તમારી કોઈ પડી હોતી નથી. તે મનોરંજન માટે કોઈ યુક્‍તિ કે પ્રયુક્‍તિ કરતી નથી. તે કોઈ અવાજ પણ કરતી નથી. તેમનામાં કોઈ ખાસ તીક્ષ્ણ બુદ્ધિ હોતી નથી. તમે માછલીને ખાઈ પણ શકતા નથી. આ તમામ જાણ્યા પછી આપણે એ વાત સમજી શકતા નથી કે માછલી કઈ રીતે આનંદ કે મનોરંજન આપી શકે છે. વેઈટીંગ રૂમ, એરપોર્ટ કે લોબી પર આવેલા માછલીઘરો એક પ્રકારની ક્રુરતા છે. તમે જયા જયા આવા માછલીઘર જુવો ત્‍યાં ત્‍યાં તેનો વિરોધ કરવો જોઈએ. જો તમારી પાસે માછલીઘર હોય તો તે માટેનો શોખ છોડી દો. આવી ટેન્‍કને ઈન્‍ડોર ગાર્ડનમાં બદલી નાંખો. જેમાં ઈન્‍ડોર છોડનો ઉછેર કરો. કાચની જેલ કરતા ગાર્ડન વધારે સુંદર છે. પાંચમી ખોટી માન્‍યતા એ છે કે માછલીઘર માટે માછલી વેચનાર વ્‍યક્‍તિઓ આ અંગેના નિષ્‍ણાત હોય છે. જોકે વાસ્‍તવિકતા અલગ છે. આવા લોકો કોઈ દિવસ નિષ્‍ણાત ન હતા કે છે પણ નહિ. જો આમ હોત તો તેઓ આવા વ્‍યાપારમાં ન હોત. તેઓ માત્ર દુકાનદાર કે વ્‍યાપારી છે. તેઓ પગરખા કે છત્રીઓ વેચવાની જગ્‍યાએ માછલી, ટેન્‍ક અને પ્‍લાસ્‍ટીંકના ફુલો વેચે છે. તેઓ માછલી અંગે કંઈ જાણવાનો પણ પ્રયાસ કરતા નથી. કારણ કે તમારી પાસે રહેલી માછલી જેટલી ઝડપથી મૃત્‍યુ પામશે એટલા ઝટપથી તેમને ધંધો મળી રહેશે. તેઓ આ નિયમને સારી રીતે જાણે કે ફીશટેન્‍ક ખરીદનાર વ્‍યક્‍તિ ફરી માછલીઓ ખરીદવા આવશે. તેથી જેટલી વઘુ માછલી મૃત્‍યુ પામે તેટલા તે વઘુ પૈસાદાર બને છે. આવા લોકો દ્વારા માછલીને ખવડાવવા માટે આપવામાં આવતો ખોરાક પણ મારી નાંખવામાં આવેલી માછલીમાંથી બનાવવામાં આવેલ છે. આવા લોકો માત્ર પૈસા કમાવવામાં નિષ્‍ણાત હોય છે. તેથી આ એક નફાકારક ધંધો છે. તમે માછલી ખરીદો એટલા માટે આ લોકો તેમને જુઠાણા ભણાવી દે છે. સૌથી મોટું જુઠાણું એ છે કે તમે તેનો ઉછેર કરો છે. માછલીઓને બંધન અવસ્‍થામાં વિકાસ થઈ શકે નહિ. તેથી માછલીઘર માટે માછલીની ખરીદી કરીને તમે કસાઈના બિઝનેસને પ્રોત્‍સાહન આપી રહ્યા છો. માછલી દરિયાઈ પ્રાણી છે. તે પાળતું પ્રાણી નથી.

No comments:

Post a Comment