Monday, August 10, 2009

દસમાંથી ચાર ભારતીય ગરીબી રેખા નીચેઃ 1.25 ડોલર (રૂ. 60)ની આવક...‍‌!
વોટબેન્કને લીધે કોઈ પક્ષ-શાસક કુટુંબ નિયોજન યોજનામાં પડવા માગતું નથી-ફાટફાટ થતી વસ્તી સુધારાઓના વેગને બ્રેક મારી દે છે

By ENN,
અમદાવાદ,
દરરોજ અખબારોમાં દેશની પ્રગતિના આકર્ષક આંકડાઓ પ્રગટ થતાં જ જાય છે. આપણી પ્રગતિની ટકાવારી વધતી જાય અને ફુગાવો ઘટતો જાય છે. છડેચોક સાંસદોને લાંચ આપી શાસન ટકાવી શકાય છે. પરમાણુ કરાર થઈ ગયા છે. વીજળી હવે જેમ ફાવે તેમ વાપરો. પછી ભલેને રૂ. 71000 કરોડ ગરીબ ખેડૂતોના દેવાને માફ કરવા માટે આપ્યા હોય.. ગાડી દ્વારા 2-3 માસ પહેલાં પૂના જવાનું થયું. રસ્તામાં ચીંચવડથી પુના સુધીના હાઈવે પર ઠેર ઠેર આપણા માનવંતા ખોરાક અને પુરવઠા ખાતાના પ્રધાન શરદ પવારના હોર્ડિંગ્સ કોટી કોટી વંદનનો- આપણા શરદ પવારને જેણે આપણા ખેડૂતભાઈઓના રૂ. 71 હજાર કરોડ દેવાના માફ કરાવ્યા. વાહ શરદ પવાર સાહેબ વાહ..! ખરો જશ ખાટી ગયા, બિચારા આપઘાત કરીને કબરમાં સૂતેલા ખેડૂતો આશીર્વાદ આપતા હશે. ગરીબ ખેડૂતોની ગરીબી આમ જ દૂર થાય ને !
હાલમાં જ પ્રગટ થયેલ વર્લ્ડ બેન્કના જગતની ગરીબીના છેલ્લામાં છેલ્લા ચોંકાવનારા આંકડા પ્રસિદ્ધ થયા છે. ભારતમાં અંદાજે જગતના ત્રીજા ભાગના ગરીબો વસે છે. માત્ર 2 ડોલર (રૂ. 80)થી પણ ઓછી આવક ધરાવતા આફ્રિકાના સહારા પ્રદેશ કરતાં ભારતમાં ગરીબોની વસતિ છે.
વર્લ્ડ બેન્ક પ્રમાણે ભારતમાં 1981થી 1990 વચ્ચે ગરીબીનો દર ઓછો થતો જતો હતો, જ્યારે 1990થી 2005ના સમયગાળા દરમ્યાન ગરીબીનો આંક 1981થી 1990 કરતાં વધારે હતો. હવે અર્થશાસ્ત્રીઓએ અનુમાન કરવાનું રહ્યું કે ખરેખર ગરીબી ઘટી છે.?
નૂતન સમીકરણ પ્રમાણે 45.6 કરોડ લોકો એટલે અંદાજે વસ્તીના 42 ટકા લોકો નૂતન આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા-1.25 ડોલર પ્રતિ દિવસ-અંદાજે રૂ. 50 જેટલી ઓછી આવક ધરાવે છે. આ પ્રમાણે જગતની ગરીબની વસ્તીના 33 ટકા ભારતમાં વસી રહ્યાં છે.
ભારતની 82 કરોડની વસ્તીના માત્ર પ્રતિદિન 2 ડોલર કરતાં ઓછી આવક છે. એટલે કે કુલ વસ્તીના 75.6 ટકા લોકો થયા જે પ્રમાણ જગતના સૌથી ગરીબ પ્રદેશ સબસહારા આફ્રિકાના 72.2 ટકા કરતાં વધારે છે. એટલે કે 55.1 કરોડ લોકોની આવક 2 ડોલર કરતાં પણ ઓછી પ્રતિદિન છે.
વર્લ્ડ બેન્કના અહેવાલ મુજબ 1981માં 42.1 કરોડ લોકોની આવક માત્ર 1.25 ડોલર હતી. એની સંખ્યા હવે 2005માં 45.6 કરોડ થઈ ગઈ છે. અહેવાલ વધુમાં જણાવે છે કે નવી આંતરરાષ્ટ્રીય ગરીબીની રેખાના 1.25 ડોલર પ્રતિદિન છે, કારણ કે સૌથી ગરીબ એવા 10-20 દેશોની ગરીબીની રેખા પરથી એનું તારણ કાઢવામાં આવ્યું છે. આનો અર્થ એમ થયો કે 10માંથી 4 ઉપરાંત વધારે ભારતીયો ગરીબી રેખા નીચે જીવી રહ્યાં છે- ને આપણે પ્રગતિની બાંગ પુકારતા જઈએ છીએ.
ટકાવારી ઘટી, વસ્તી વધી, સુધારાની ગાડીની ગતિ મંદ પડી...!
આપણે ત્યાં પંચ વાર્ષિક યોજનાઓ આવે છે. કેટલો વિકાસ દરેક ક્ષેત્રમાં થયો છે. અને હવે કેટલો થશે એનો અંદાજ-બજેટ આદી મૂકવામાં આવે છે. હવે ગરીબોમાં કેટલી ગરીબીની પ્રગતિ થઈ છે એના આંકડાઓ પ્રતિ કોઈ ગંભીરતાથી જોતું નથી. એના કારણો છે-વસ્તી નિયોજન યોજનાઓનો સંદતર અભાવ. કોઈ પણ પાર્ટી અને પક્ષને તેમજ શાશનને પણ પડી નથી. કોઈ પણ એના ચૂંટણી ઢંઢેરામાં એનો સમાવેશ કરતાં નથી. શાસન તો એના પ્રત્યે લેશમાત્ર ધ્યાન રાખતું નથી. કેન્દ્ર તેમજ રાજ્ય સ્તરે એની કહેવા ખાતર સમાજ કુટુંબ-કલ્યાણ "મિનિસ્ટ્રી" રાખી છે. યુદ્ધ ધોરણે કશું કામ થતું નથી.
જ્યાં સુધી ફાટફાટ થતી વસ્તીનું નિયોજન નહીં કરવામાં આવે ત્યાં સુધી ગરીબોની ગરીબી વધતી જશે. વધતી જતી વસ્તી ગમે તેવા સુધારાઓને અસરકારક નહીં બનવા દે.
કોઈપણ શાસન કુટુંબ-નિયોજન માટે કાર્ય કરવા માંગતું નથી રખેને ! વોટ બેન્ક તૂટી જાય તો..!

No comments:

Post a Comment