Tuesday, September 15, 2009

વાઘ વચાવો વાઘ વસાવો


By ENN,
તુષાર ડી. શાહ દ્વારા,
2008ના ફેબ્રુઆરી માસમાં વન અને પર્યાવરણ મંત્રાલયના પ્રસિધ્ધ થયેલા આંકડા અનુસાર ભારતભરમાં કુલ 37 ટાઈગર રિર્ઝવમાં વાઘની સંખ્યા 1411 હતી. દેશમાં જ્યારે 1973 માં ટાઈગર પ્રોજેક્ટનો પ્રારંભ થયો ત્યારે વાઘની સંખ્યા 1827 હતી. જે છેલ્લી 2002ની વાઘની વસ્તી ગણતરીમાં 3600 વાઘ હોવાનું નોંધાયેલ છે. પરંતુ છેલ્લા વર્ષોમાં માણસના જંગલ કરફના અતિક્રમણથી અને ઘટતા જતા જંગલોથી અને શિકારીઓના વાઘના વધતા જતા શિકારથી આ શાનદાર પ્રાણી લુપ્ત થવાના આરે છે. કહેવાય છે કે, મરેલો વાઘ પણ શિકારીને 10 થી 15 લાખની કમાણી કરાવી આપે છે. વાઘના ચામડાથી લઈને તેના હાડકા સુધીને વેપાર થાય છે.

છેલ્લા જુલાઈ 2009ના આંકડા અનુસાર મધ્યપ્રદેશના પન્ના ટાઈગર અભયારણ્યમાંથી તમામ 24 વાઘ લુપ્ત થઈ ગયા જ્યારે રાજસ્થાનના સારિસ્કા અભયારણ્યમાંથી તો વર્ષ 2005 માં જ તમામ 35 વાઘ ગાયબ થઈ ગયા હતા. વાઘના અસ્તિત્વ નષ્ટ થવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે. જેમ કે, ઘટતા જતાં જંગલો અને જંગલમાં રહેતા માનવ ઘર્ષણના બનાવો જંગલમાં બને છે. બીજું જંગલમાં તૃણભક્ષી પ્રાણી જે વાઘનો મુખ્ય ખોરાક છે જેવા કે, સાબર , ચિંતલ, હરણ, સુવરની સંખ્યા ઘટતી જાય છે. તેથી વાઘ શિકારની શોધમાં માનવ વસાહત તરફ આવે છે અને ઘર્ષણ થાય છે. આ અંગે જે તે રાજ્ય સરકારે જંગલમાં રહેતા લોકોને અન્ય સ્થળે સ્થળાંતર કરાવી જંગલોને માનવ વસાહતથી મુક્ત કરાવવા જોઈએ.

જાન્યુઆરી 2009થી ઓગસ્ટ 2009 સુધીમાં કુલ 66 વાઘ શિકારીઓના શિકારથી અને કુદરતી રીતે મૃત્યુ પામ્યા છે જેમાં 23 વાઘ શિકારીઓના શિકારથી અને 43 વાઘ ઉંમર થવાના કારણે મૃત્યુ પામ્યા છે. હાલની પરિસ્થિતિ જોતાં સમગ્ર ભારતના જંગલોમાં કુલ 1300 વાઘ બચ્યા છે. ગુજરાત રાજ્ય વાઘની બાબતમાં કમનશીબ રાજ્ય છે. ગુજરાતના જંગલમાં એક પણ વાઘ મુક્ત વિહારતા નથી છેલ્લે 1997ના વર્ષમાં ડાંગના જંગલમાં એક વાઘ નજરે પડ્યો હતો જે ગાયબ થઈ ગયો. ભારતના રાષ્ટ્રીય પ્રાણીના પ્રતીક સમાન ગુજરાતના જંગલમાં ફરી વાઘનું આગમન થાય તે ખૂબ જ જરૂરી છે. તાજેતરમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી તથા ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી વચ્ચે થયેલ વાત અનુસાર ગુજરાતમાંથી સિંહ મધ્યપ્રદેશમાં મોકલવવામાં આવે તો જ ગુજરાતના જંગલમાં વાઘનું આગમન થઈ શકે જે યોગ્ય નથી કેમ કે, સિંહ સમગ્ર એશિયામાં ગુજરાતના ગીરના જંગલમાં જ 359ની સંખ્યામાં વસવાટ કરે છે. અને સિંહ એ ગુજરાતના ઘરેણાં સમાન છે.આથી સિંહ આપીને વાઘ લાવવાની વાત છે તે યોગ્ય નથી તેથી ગુજરાત સરકારે વચ્ચેનો રસ્તો કાઢીને ગુજરાતના ડાંગનાં જંગલમાં ફરી વાઘની ત્રાડો સંભળાય છે અને વાઘથી ગુજરાતનું જંગલ શોભી ઉઠે અને મુલાકાતીઓને વાઘના દર્શન થાય તેવું આયોજન કરી ગુજરાતમાં પુનઃવાઘનો વસવાટ શક્ય બને તે દિશામાં પગલાં લેવા જોઈએ.

વન્ય જીવોની સુરક્ષા પર્યાવરણ માટે પણ આવશ્યક છે તેથી આજથી યુવા પેઢીએ વાઘ બચાવો અભિયાન શરૂ કરી લોકોને જાગૃત કરવા જોઈએ. આજની યુવા પેઢી વેલેન્ટાઈન ડે, ફ્રેન્ડશિપ ડે વગેરે ડે ઉજવે છે. તેમણે ટાઈગર ડે મનાવી લોકોમાં અવેરનેસ આવે તેવું અભિયાન ચલાવવું જોઈએ નહીતર આવનાર દિવસોમાં વાઘ બસ તસ્વીરમાં જ જોવા મળશે અને પુસ્તકમાં જોવા મળશે.

રાજય પ્રમાણે વાઘની સંખ્યા
મધ્યપ્રદેશ - 300 , કર્ણાટક - 290 , ઉતરાખંડ - 178 , ઉતરપ્રદેશ - 109 , મહારાષ્ટ્ર - 103 , આંધ્રપ્રદેશ - 95 , તમિલનાડું - 76 , આસામ - 70 , કેરળ - 46 , ઓરિસ્સા - 45 , રાજસ્થાન - 32 , છતિસગઢ - 26 , અરુણાચલ - 14 , બિહાર - 10 , પશ્ચિમ બંગાળ - 10 , મિગ્મેરમ - 6 .

No comments:

Post a Comment